Sunday, 19 April 2026

शैव भाष्ये च द्वैतमते काश्मीरी त्रिकमती संचये प्रत्याभिज्ञा दर्शन इतिहास च सहित्य भाग 1

.... किं कारणे काश्मीरी पंडित नामित व्यकत सकल ब्राह्मण समाज अति आवश्यक रूपं महत्व धार्याम सूचित समय घटिकाये भारत वर्षीय क्षेत्रे?

शैव भाष्ये च द्वैतमते काश्मीरी त्रिकमती संचये प्रत्याभिज्ञान दर्शन इतिहास च सहित्य प्रदर्शितं उत्तरम्।

अत्रे सूचित रूपरेखा प्रदर्श्यामि। आहलादकीय गुजराती आलेखन कृतां, श्रीयुत नर्मदा पारधी .....
....
थोड़ा लम्बाहै लेकिन रसप्रचुर रसुप्रद है ।

ન્યાયદર્શન અને અદ્વૈતવેદાંતદર્શનનો પણ કાશ્મીરમાં પ્રચાર હતો. ત્યાં ન્યાયસિદ્ધાંતને અવલંબીને શ્રી શંકુકકૃત અને વેદાંતસિદ્ધાંત અનુસાર ભટ્ટનાયકકૃત "'રસસૂત્ર વ્યાખ્યા” ની રચના થઈ. અભિનવગુપ્ત તેમના "કથામુખતિલક" માં ન્યાયનિરૂપિત સોળ પદાર્થોનું પ્રતિપાદન કરે છે. અને માલિની વિજયવાર્તિકમાં વૈશેષિકોએ અપનાવેલા સમવાય, વિશેષ, અભાવ જેવા સિદ્ધાંતોની સમાલોચના કરે છે તથા ધ્વન્યાલોકલોચનમાં તેઓ અભિહિતાન્વયવાદ-અન્વિતાભિધાનવાદનું નિરૂપણ કરી મીમાંસકોના સિદ્ધાંતને સમજાવે છે. આગળ જોઈ ગયા કે શૈવદ્વૈતદર્શનના વ્યાખ્યાકાર રામકંઠ પણ અહીં જ થઈ ગયા. કાશ્મીર શૈવદર્શન અને ગીતાના દર્શન વચ્ચેના સામ્યનો નિર્દેશ આપતાં શ્રી એલ. એન. શર્માએ નોંધ્યું છે કે અભિનવગુપ્ત અને રાજનકરામકંઠે શૈવમતાનુસારી ગીતા ભાષ્ય લખ્યું હતું. “નૈષધચરિત'ના કર્તા શ્રી હર્ષ જયંત-ચંદ્રની આજ્ઞા અનુસાર પોતાનો ગ્રંથ કાશ્મીરના કોઈ વિદ્વાનને બતાવવા અને શારદાના હાથમાં મૂકવા માટે કાશ્મીર ગયા હતા.

આચાર્ય શંકર પણ બૌદ્ધમતના ઉન્મૂલન માટે અને અદ્વૈતવેદાંતજ્ઞાનના સંવર્ધન માટે શૈવાદ્વૈત વિચારધારાને દક્ષિણમૂર્તિસ્તોત્ર દ્વારા પ્રોત્સાહિત કરવાના હેતુથી કાશ્મીર ગયા હતા. તેમના શિષ્ય સુરેશ્વરાચાર્યે દક્ષિણામૂર્તિ સ્તોત્રની શૈવાગમ અનુસાર વ્યાખ્યા દ્વારા તથા શૈવ-આગમના પારિભાષિક શબ્દોના પ્રયોગ દ્વારા શૈવોની દ્રષ્ટિને મૌલિક શૈવાદ્વૈતસિદ્ધાંતો તરફ આકર્ષી હતી અને તે રીતે શાંકર-અદ્વૈતનું શૈવાદ્વૈત સાથે સામ્ય દર્શાવીને આગમાશ્રિત શાંકરાદ્વૈતનો પ્રચાર કર્યો હતો. વળી શંકરાચાર્ય શૈવ હતા અને ચોસઠ આગમોને અનુસર્યા હતા એ બાબત તો. સુવિદિત છે જ. 

દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં જગતને અરીસામાં દેખાતા એક ચમત્કારિક દૃશ્ય સાથે સરખાવી તેને કોઈ યોગી કે માયાવીએ પાડેલા પ્રતિબિમ્બ જેવું ભ્રામક ગણાવ્યું છે અને દર્શાવ્યું છે કે શરીર અને મન તેમ જ તમામ મૂળતત્ત્વો માયાવી છે. અવિદ્યાને કારણે જીવ તેનાં સાંસારિક વમળોમાં ફસાઈ જાય છે. પરંતુ જયારે તે પોતાના અદ્વૈતસ્વરૂપને જાણે છે ત્યારે તેને કોઈ દુઃખ રહેતું નથી. કારણ કે દક્ષિણામૂર્તિ ભગવાન શંકર જગદ્ગુરુ તરીકે અદ્વૈતના સત્યને પ્રગટ કરે છે. 

આમ શંકરાચાર્ય આ સ્તોત્રમાં કાશ્મીર-શૈવપંથની પરિભાષામાં અદ્વૈતવેદાંતનાં મૂળતત્ત્વોને જ સમજાવે છે. શંકરાચાર્ય તેમના ભાષ્યમાં માયાને માટે શક્તિ શબ્દ પ્રયોજે છે. તેમણે શિવસ્તુતિપ્રધાન “શિવપાદાદિકેશાન્તવર્ણન સ્તોત્ર' અને 'શિવકેશાદિપાદા ન્તવર્ણન સ્તોત્ર'ની રચના કરી ભગવાન શંકરના અવયવોનું સુન્દર વર્ણન કર્યું છે. 

વળી શંકરાચાર્યોની પરંપરામાં દરેક શંકરાચાર્ય ચંદ્રમૌલીશ્વર શિવની અને શ્રીવિદ્યાના પ્રતીક એવા મેરુપૃષ્ઠાત્મક શ્રી યંત્રની નિત્ય ઉપાસના કરે છે. એ રહસ્યાત્મક હકીકત પણ લક્ષ્યમાં રાખવા જેવી છે. 

સોમાનંદ, અભિનવગુપ્તપાદ વગેરે કાશ્મીરી આચાર્યો વિવિધ અદ્વૈતવેદાંત મતોની સમાલોચના કરતી વખતે જડબ્રહ્મવાદ, અભાવ, બ્રહ્મવાદ, શૂન્યબ્રહ્મવાદ આદિ શબ્દોના પ્રયોગ કરે છે પણ શંકરના નામનો સ્વીકાર કરતા નથી. 

અભિનવગુપ્તપાદ પોતાના ''ઈશ્વરપ્રત્યભિજ્ઞાવિમર્શિની”ના અંતમાં અદ્વૈતશૈવ અને અદ્વૈતવેદાંતમાં માયાસ્વરૂપને ભેદક તત્ત્વ તરીકે ઓળખાવે છે. અદ્વૈતશૈવ માયાને શક્તિ તરીકે સ્વીકારે છે, તો અદ્વૈતવેદાંત તેને સદસદ્દનિર્વચનીયા માને છે. અદ્વૈતવેદાંતી મત અને કાશ્મીરશૈવાદ્વૈત મતમાં નિકટતા છે, એમ કહેવું અતિશયોક્તિપૂર્ણ નથી જ

કાશ્મીર વિવિધ ધર્મ-સંપ્રદાયો અને સિદ્ધાતોનું કેન્દ્ર સ્થાન હતું. તેથી કેટલાક સમન્વયાત્મક સિદ્ધાંતો પણ અસ્તિત્વમાં આવ્યા હતા. ઈ.સ. પૂ. ચોથી સદીથી ઈ.સ.ની બારમી સદી સુધી કાશ્મીરનું “શારદાપીઠત્વ"-વિવિધ દાર્શનિક વિચારધારાઓની સંગમભૂમિ તરીકે અક્ષત રહ્યું હતું.

પ્રત્યભિજ્ઞાનદર્શનનો ઇતિહાસ અને સાહિત્ય :

કાશ્મીરદર્શનને ત્રિકમત કહેવાય છે. પતિ, પશુ અને પાશ ત્રણ તત્ત્વોની પ્રધાનતાને કારણે આ દર્શન ત્રિક કહેવાય છે

શ્રી રાજવંશ સહાય દર્શાવે છે કે બાણું આગમોમાંથી સિદ્ધા, નામક અને માલિની તંત્રની પ્રમુખતા એ “ત્રિક" સંજ્ઞાનું કારણ હોઈ શકે. 

'તંત્રાલોક'માં અભિનવગુપ્તે આ મતના આધ્યાત્મિકપક્ષનું વિવેચન કર્યું છે. આ દર્શનનો ઇતિહાસ આપતા શ્રી સહાયે દર્શાવ્યું છે કે ભગવાન શિવે શૈવાગમોની દ્વૈતપરક વ્યાખ્યાને ધ્યાનમાં લઈને આ મતને પ્રગટ કર્યો હતો. જેનો ઉદેશ અદ્વૈતતત્ત્વનો પ્રચાર કરવાનો હતો. 

ભગવાન શિવે દુર્વાસા ઋષિને એના પ્રચારનું કામ સોંપ્યું હતું. આ અદ્વૈતવાદી દર્શનનું સાહિત્ય અત્યંત વિશાળ છે, જે કાશ્મીર ગ્રન્થમાલામાં પ્રકાશિત થયું છે. 

ત્રિકના મૂળ આચાર્ય વસુગુપ્ત (ઈ.સ. ૮૦૦) છે. જેમણે સ્પન્દકારિકામાં શિવસૂત્રોની વિશદ વ્યાખ્યા આપી છે. કહેવાય છે કે 'શિવપલ' નામની ચટ્ટાન ઉપર ''શિવસૂત્રો'' કોતરવામાં આવ્યાં હતાં જેની સંખ્યા સિત્તોતેરની છે. 

ભગવાન શિવે વસુગુપ્તને સ્વપ્નમાં આ સૂત્રોના ઉદ્ધાર માટે આદેશ આપ્યો હતો. આ સૂત્રો આ દર્શનનો પાયો છે. વસુગુપ્તના મહામાહેશ્વરાચાર્ય કલ્લટ (૯મી સદીનો ઉત્તરાર્ધ) અને સોમાનંદ એ બે શિષ્યો હતા; જેમણે ક્રમશઃ સ્પન્દસિદ્ધાંત અને પ્રત્યભિજ્ઞામતનો પ્રચાર કર્યો. પ્રત્યભિજ્ઞાદર્શનના પ્રસિદ્ધ આચાર્ય ઉત્પલાચાર્ય સૌમાનંદના શિષ્ય હતા. અભિનવગુપ્ત ઉત્પલાચાર્યના શિષ્ય હતા અને ક્ષેમરાજ અભિનવગુપ્તના શિષ્ય હતા; જેમણે પ્રત્યભિજ્ઞામતનાં સંવર્ધનમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો. ૪૫ શ્રી અમીને આ અદ્વૈતદર્શનને કાશ્મીર શૈવધર્મના "ત્રિકમત' તરીકે ઓળખાવતાં કહ્યું છે કે સાધારણ શૈવધર્મથી એને જુદો પાડવા માટે તેને ‘'રહસ્યસંપ્રદાય" પણ કહેવાય છે. આ અદ્વૈતવાદના જોરમાં રહસ્યવાદ-અદ્વૈત ત્રિકવાદનું ઉચ્છેદન ન થાય તે માટે શિવે ત્રિકમતનો આવિર્ભાવ કર્યો તેવું મનાય છે. 

આ ત્રિકમતમાં તેમણે આગમશાસ્ત્ર, સ્પન્દશાસ્ત્ર અને પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર-ત્રણનો સમાવેશ કર્યો છે. પાદટીપમાં વિશેષ માહિતી આપતાં તેમણે નોંધ્યું છે કે આ ત્રિકમતનો મુખ્ય ગ્રન્થ "શિવસૂત્ર" છે, જે “શિવોપનિષત્સંગ્રહ" કે 'શિવરહસ્યાગમ' ના નામથી પણ ઓળખાય છે. 

આ શિવસૂત્રો ઉપર એક વૃત્તિ, એક વાર્તિક અને એક વિમર્શિની નામની ટીકા છે. આગમો અને તંત્રો શિવે કહ્યાં હતાં એવું મનાય છે. શ્રી અમીને પણ એ નોંધ્યું છે કે મૂળ તંત્રોમાંનો દ્વૈતવાદ માધવચાર્યે શૈવદર્શન તરીકે વર્ણવેલા વાદને મળતો આવતો દ્વૈતવાદ હોવા છતાં આ ટીકાકારોએ એમાંથી અદ્વૈતવાદ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.૪૨ આ રીતે પ્રાચીન તંત્રોને એનો જુદો અર્થ કરીને પણ શૈવસાહિત્યમાં સંગ્રહવાનો પ્રયાસ શૈવોએ કર્યો છે, તેવું ફલિત થાય છે. 

શ્રીમન્નજુંડારાધ્ધે આગમો અને સ્પન્દશાસ્ત્ર બંને દ્વૈતવાદી હોવાથી પ્રત્યભિજ્ઞામાં તેમનો સમાવેશ થતો નથી તેવી સ્પષ્ટતા કરી છે. તેમણે શિવસૂત્રો પ્રત્યભિજ્ઞાપ્રતિપાદક નથી, તેમ પ્રતિપાદિત કરતાં દર્શાવ્યું છે કે સૌમાનંદ પૂર્વે થઈ ગયેલ વસુગુપ્ત (ઈ.સ. ૮૨૫)ને મળી આવેલાં અને મહાદેવગિરિની શિલા ઉપર કોતરેલાં શિવસૂત્રો પ્રત્યભિજ્ઞાનાં પ્રતિપાદક નથી. કેમ કે શિવસૂત્રોમાં કહેલા શિવ-ઉપાયનું નામમાત્ર પણ પ્રત્યભિજ્ઞામાં નથી. 


શિવસૂત્રોમાં શાંભવ, શાક્ત અને આણવ નામના ત્રણ માર્ગોનું ત્રણ અધ્યાયોમાં વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. અહીં પ્રત્યભિજ્ઞાનો નિર્દેશ પણ નથી. વળી વસુગુપ્તે પણ ક્યાંય પ્રત્યભિજ્ઞામાર્ગનો અભિનવમાર્ગ તરીકે નિર્દેશ કર્યો નથી. 


તે જ રીતે સ્પંદશાસ્ત્ર પણ પ્રત્યભિજ્ઞાપ્રતિપાદક નથી, તેવું સિદ્ધ કરતાં તેમણે દર્શાવ્યું છે કે સ્પંદશાસ્ત્ર પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર કરતાં જુદું છે. તેના પ્રતિપાદક સ્પંદસૂત્રો કે સ્પંદકારિકા એ શિવસૂત્રસંગ્રહ જ છે અને તે મુખ્યત્વે શાક્ત ઉપાયનું પ્રતિપાદન કરે છે, તેવું ક્ષેમરાજ દર્શાવે છે. 

શિવસૂત્રોમાં પ્રદર્શિત માર્ગો આગમો ઉપર આધારિત છે. શિવસૂત્રો આગમોના સારસંગ્રહરૂપ જ છે. ઈ.સ.ની નવમી સદીમાં થઈ ગયેલા સોમાનંદે શૈવાગમિક વિચારધારાના આણવ, શાક્ત, શાંભવ અને પ્રત્યભિજ્ઞા નામના ચાર ઉપાયોમાં ઉત્કૃષ્ટ અને અતિમ મોક્ષ નામના ઉપાયને પ્રત્યભિજ્ઞા સિદ્ધાંતની યુક્તિ વડે પુષ્ટિ કરી શિવદૃષ્ટિ દ્વારા પ્રગટ કર્યો. 

તેથી "શિવદૃષ્ટિ'માં પ્રતિપાદિત દર્શનને પ્રત્યભિજ્ઞા દર્શન કહેવાય છે.

ડો. રાધેશ્યામ ચતુર્વેદી વિકાસની દૃષ્ટિએ શૈવદર્શનનું બે ભાગમાં વિભાજન કરે છે. આગમકાળ અને દાર્શનિકકાળ. જેમ દ્વૈત, હૈતાદ્વૈત અને અદ્વૈતવેદાંત દર્શનોની મૂળ સંપત્તિ ઉપનિષદો છે. તેમ આગમશાસ્ત્રો શૈવદર્શનોની સંમિલિત મૂળરાશિ છે. આ આગમો પ્રાયઃ શિવ-પાર્વતીના સંવાદરૂપે છે. તેમાંના કાશ્મીર-શૈવદર્શનના મૂળ આધાર તરીકે માલિનીવિજયોત્તર, સ્વચ્છન્દ, શિવસૂત્ર, વિજ્ઞાનભૈરવ તથા પરાત્રિશિકાનાં નામ આવે છે. શૈવસાધના દ્વારા આગમશાસ્ત્રનો સાક્ષાત્કાર કરી યથાર્થજ્ઞાન મેળવ્યા બાદ જ દાર્શનિકશાસ્ત્રોની રચના કે ચર્ચા થઈ શકે. આથી શ્રી ચતુર્વેદીએ કાશ્મીરદર્શનના ઉદ્ગમના હેતુ તરીકે આગમશાસ્ત્રને ગણાવ્યું છે. ત્યાર પછી દાર્શનિકકાળની શરૂઆત શૈવસૂત્રોથી થઈ. શ્રીકંઠ નામધારી ભગવાન શિવની કૃપાથી આચાર્ય વસુગુપ્ત (ઈ.સ. નવમી સદીનો પ્રારંભ)ને સ્વપ્નમાં આદેશ દ્વારા શિવસૂત્રો પ્રાપ્ત થયાં. વસુગુપ્ત ત્ર્યંબકમઠના પ્રધાન ગુરુ હતા. શિવસૂત્રોમાં ત્રિકસાધના દ્વારા 'શાક્તસમાવેશ, આણવસમાવેશ વગેરે વિવિધ વિષયોની પ્રચુર માત્રા માં ચર્ચા થઈ છે. વસુગુપ્તરચિત સ્પન્દામૃત, સિદ્ધાંતચન્દ્રિકા વગેરે ગ્રંથોનો ઉલ્લેખ યત્ર-તંત્ર મળે છે. તેમણે શિવસૂત્રો ઉપર "તત્ત્વાર્થચિંતામણી'' તથા "મધુવાહિની "ટીકાઓ લખી હતી; જે ગ્રંથો હાલમાં ઉપલબ્ધ નથી. ૪૩ શ્રી જે. પી. અમીને જગદીશ ચેટર્જીને નોંધીને દર્શાવ્યું છે કે વસુગુપ્તે 'ભગવદ્ગીતા" ઉપર "વાસવી ટીકા' લખી; જેનાં આરંભનાં છ પ્રકરણો રાજાનક લસકાકા દ્વારા ચર્ચાયેલ “લાસકી' નામની અન્ય ટીકા સાથે વિદ્યમાન હોવાનું મનાય છે. ૪૪ ડો. ચતુર્વેદી અનુસાર વસુગુપ્ત બાદ કાશ્મીર-દર્શનની બે પારાઓ નીકળી - ધર્મપ્રધાન અને તર્કપ્રધાન. પ્રથમ શાખાના આચાર્યોમાં તેમણે પહેલું નામ ભટ્ટ કલ્લટનું મૂક્યું છે. તે વસુગુપ્તના શિષ્ય હતા. રાજતરંગિણી પ્રમાણે તેઓ કાશ્મીરનરેશ અવંતીવર્માના રાજયમાં અર્થાત્ ઈ.સ. ના નવમા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયા. તેમણે પચાસ શ્લોકોમાં શિવસૂત્રોની વ્યાખ્યા આપી જે સ્પન્દકારિકાના નામે પ્રસિદ્ધ છે. 


ઉપરાંત કલ્લટને શિવસૂત્રવૃત્તિ, સ્પન્દસર્વસ્વ, તત્ત્વાર્થચિન્તામણી વગેરે ગ્રંથોના રચયિતા કહ્યા છે. આચાર્ય વસુગુપ્ત દ્વારા પ્રવર્તિત ત્ર્યંબકશાાની તર્કપ્રધાન અથવા દાર્શનિક વિવેચનપ્રધાન શાખાના પ્રવર્તકના રૂપમાં આચાર્ય સૌમાનંદનાથનું નામ આપવામાં આવે છે. તેઓ ભટ્ટ કલ્લટના પરવર્તી હતા. તેથી તેમનો સમય નવમી સદીનો અંત ગણી શકાય. શ્રી ચતુર્વેદી દર્શાવે છે કે સૌમાનંદનો “શિવદષ્ટિ" એવો પ્રથમ ગ્રંથ છે; જે પ્રત્યભિજ્ઞાદર્શનની સાંગોપાંગ પૃષ્ઠભૂમિના રૂપમાં લોકો સામે આવ્યો. જેની ઉપર ત્ર્યંબકશૈવદર્શન અથવા કાશ્મીરશૈવદર્શનના ભવ્ય પ્રાસાદનું નિર્માણ થયું. સોમાનંદના પ્રધાન શિષ્ય આચાર્ય ઉત્પલદેવ હતા. સોમાનંદના સમયને ધ્યાનમાં રાખીને તેમનો સમય નવમી સદીનો અંત અથવા દસમી સદીનો આરંભ ગણાવી શકાય. આચાર્ય ઉત્પલદેવ પછી ધર્મપ્રધાન અને તર્કપ્રધાન બંને ધારાઓ મળીને એક થઈ ગઈ અને તેના પરિણામે બંને ધારાઓના સંગમરૂપે લક્ષ્મણગુપ્તનો આવિર્ભાવ થયો. તેઓ અભિનવગુપ્તના શૈવસંપ્રદાય સંબંધી અધ્યયનના ગુરુ હતા. બહુમુખી પ્રતિભાસંપન્ન આચાર્ય અભિનવગુપ્તનો સમય દસમી સદીનો અંતિમ ભાગ અથવા અગિયારમી સદીનો પૂર્વાર્ધ ગણાવી શકાય. અભિનવગુપ્તની પરંપરાને આગળ વધારવાનું કામ તેમના મુખ્ય શિષ્ય ક્ષેમરાજે કર્યું. તેમના શિષ્ય યોગરાજે અભિનવગુપ્તના પરમાર્થસાર ઉપર ટીકા લખી. જયરથ અને શિવોપાધ્યાય પણ આ પરંપરાના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. ૪૫

આગમગ્રંથો ત્રિકમતના ઉદ્ભવ પહેલાનાં છે અને દ્વૈતવાદી છે. પરંતુ મૂળ તંત્રોમાંના દ્વૈતવાદમાંથી ટીકાકારોએ અદ્વૈતવાદ કાઢવાનો પ્રયાસ કર્યો. આ રીતે જૂનાં તંત્રોને એના જુદા અર્થઘટન દ્વારા શૈવસાહિત્યમાં સંગ્રહવાનો પ્રયાસ કાશ્મીર શૈવાચાર્યોએ કર્યો. સ્પન્દશાસ્ત્રનો મુખ્ય ગ્રંથ ‘'સ્પન્દસૂત્ર" કે "સ્પન્દકારિકા'' છે, જે શિવસૂત્ર ઉપરની ટીકા જેવો છે, જેની ઉપર “સ્પન્દ સર્વસ્વ", “સ્પન્દ-વિવૃત્તિ", "સ્પન્દ-પ્રદીપિકા,” “સ્પન્દ-સંદોહ”, “સ્પન્દ-નિર્ણય” જેવા ગ્રંથોની રચના થઈ. સોમાનંદનો "શિવદૃષ્ટિ” પ્રત્યભિજ્ઞાશાસ્ત્રનો મૂળ ગ્રંથ ગણાય છે” બીજો મહત્ત્વનો ગ્રંથ "ઈશ્વર-પ્રત્યભિજ્ઞા'' છે.

માધવના 'સર્વદર્શનસંગ્રહ'માં કાશ્મીર શૈવદર્શન તરીકે પ્રત્યભિજ્ઞાદર્શનનો સાર આપ્યો છે. આ દર્શનના મૂળ પ્રણેતા સોમાનંદનો "શિવદૃષ્ટિ" નામનો ગ્રંથ કાશ્મીર શૈવદર્શનનો મૂળ ગ્રંથ મનાય છે. આ ગ્રંથ આજે સંપૂર્ણ ઉપલબ્ધ નથી. એનાં ચાર આધુનિકો (૩૦૭ શ્લોકો) મળે છે. સોમાનદે "શિવદષ્ટિ" ઉપર એક વૃત્તિ પણ લખેલી, 'પરાત્રિશિકા-વૃત્તિ" - તે પણ અપ્રાપ્ય છે. આ દર્શનનો બીજો ગ્રંથ "ઈશ્વર-પ્રત્યભિજ્ઞા" મહાન શૈવ આચાર્ય-ઉત્પલાચાર્યની રચના છે. અત્યારે કાશ્મીરશૈવદર્શનનો એ મુખ્ય ગ્રન્થ મનાય છે. એમાં માત્ર એકસો નેવું શ્લોકો જ પરંતુ એની ઉપર પુષ્કળ ટીકાઓ લખાઈ છે. તેમાં અભિનવગુપ્તની પ્રત્યભિજ્ઞાવિમર્શિની” અને “પ્રત્યભિજ્ઞાવૃત્તિવિમર્શિની' મુખ્ય છે. તદુપરાંત અજડમાતૃકા”, ''ઈશ્વરસિદ્ધિ”, “સંબંધ-સિદ્ધિ" ''શિવ-સ્તોત્રાવલી" જેવી પલાચાર્યની રચનાઓ છે. 


અભિનવગુપ્તનો “તંત્રલોક' નામનો સૌથી અલગ તરી આવતો ગ્રન્થ તંત્રશાસ્ત્રનો મહાન કોશ છે. જેમાં શૈવધર્મના સઘળાં સૂત્રો ઉપર ચર્ચા છે. તંત્રલોક પરની જયરથની ટીકા પણ પ્રસિદ્ધ છે. ઉપરાંત અભિનવગુપ્તની તંત્રસાર' નામની રચના પણ છે. આ દર્શનના અન્ય પ્રસિદ્ધ આચાર્ય ક્ષેમરાજ (ઈ.સ. ૯૭૫ થી ૧૦૨૫) છે, જે અભિનવગુપ્તના શિષ્ય છે. ‘"શિવસૂત્રવિમર્શિની', “સ્વચ્છંદતંત્ર”, “વિજ્ઞાનભૈરવ', નેત્રતંત્ર પરની ઉદ્યોતટીકા, 'પ્રત્યભિશાહૃદય" “સ્પંદસંદેહ”, “શિવસ્તોત્રાવલીની ટીકા' વગેરે ક્ષેમરાજના ગ્રંથો છે. ઉપરાંત આ દર્શનને અંતર્ગત યોગરાજ (ઈ.સ. ૧૦૬૦) રચિત "પરમાર્થસારટીકા'' ભાસ્કરકંઠ (ઈ.સ.૧૭૮૦) રચિત 'ઈશ્વરપ્રત્યભિજ્ઞાટીકા' વગેરે ગ્રંથોની રચના થઈ છે.

પ્રત્યભિજ્ઞાનદર્શનનું સ્વરૂપ :

સ્વાતંત્ર્યવાદ, આભાસવાદ, સંવિદદ્વયવાદ, યથાર્થપ્રત્યયવાદ કે કાશ્મીરશૈવદર્શન વગેરે નામો દ્વારા પ્રત્યભિજ્ઞાદર્શનનો ઉલ્લેખ મળે છે. તેમાં આભાસવાદ અને સ્વાતંત્ર્યવાદ વધુ ધ્યાનાકર્ષક છે. .....
સ્વાતંત્ર વાદ:

પરમ શિવ મહેશ્વર સ્વતંત્ર છે. તે જ પોતાનામાંથી પોતાનામાં જ અને પોતાની જ ઈચ્છાથી બીજી દશામાં અભેદ વડે અહંતારૂપે પોતાનામાં રહેલ પદાર્થોનો ભેદ વડે આભાસ કરાવે છે. ભેદ વડે જ અવભાસિત પદાર્થોનાં કાર્યકારણભાવ, ક્રિયાકારકભાવ વગેરે પારસ્પરિક સંબંધોનો પણ આભાસ કરાવે છે. આ બધાનો તે પારમાર્થિક સ્વભાવ છે, એવો સ્વાતંત્ર્યવાદી અદ્વૈતશૈવોનો મત છે. અહીં પ્રકાશવિમર્શાત્મા, સંવિસ્વભાવ પરમશિવ સ્વાતંત્ર્યથી જ મંત્ર, મંત્રેશ, મંત્રમહેશ, અકલ, સકલ વગેરે વિવિધ પ્રમાતૃરૂપો વડે સાંસારિક વિવેચક દૃષ્ટિથી અલગ તરીકે જ ભાસતા સ્વરૂપ દ્વારા અનાચ્છાદક એવા તે આંતરિક સ્વાતંત્ર્યના મહિમાથી પ્રકાશે છે.

આભાસવાદ :

'આભાસ’” શબ્દ અદ્વૈતવેદાંતમાં પણ અનેકવાર પ્રયોજાયો છે. પરંતુ કાશ્મીર અદ્વૈત શૈવ સાહિત્યમાં આ શબ્દ વેદાંતમાં સ્વીકૃત અર્થ કરતાં જુદા અર્થમાં પ્રયોજાય છે. વેદાંતવિચારધારામાં આભાસ સદસત્થી અનિર્વચનીય એવી જડ માયા વડે કલ્પિત હોવાથી તે પણ જડ અને અનિર્વચનીય છે. જડ અને ચેતનનો અભેદ અસંભવ હોવાથી ઈશ્વરત્વ દ્વારા તેનું નિર્વચન કરવું શક્ય નથી. તે સ્વતંત્ર સત્તા ધરાવતું ન હોવાથી તેનું નિર્વચન પણ શક્ય નથી. ''આભાસ'' શબ્દ “મિથ્યાજ્ઞાન”ના અર્થમાં પણ પ્રયોજાય છે. જેમ કે, શુક્તિમાં રજતનો ભ્રમ થાય છે ત્યારે અવિદ્યા રજતરૂપ અર્થના આકારવાળા રજતજ્ઞાનના આભાસરૂપે પરિણમે છે તેવું વેદાંત માને છે. 'પ્રતિબિંબ' ના અર્થમાં પણ ''આભાસ'' શબ્દનો પ્રયોગ થયો છે.

પરંતુ અદ્વૈતશૈવના આભાસવાદ - વિચારમાં "પાઃ" શબ્દ સા ઉપસર્ગપૂર્વક પ્રકાશના અપર પર્યાય માટે “પીપ્તઃ' અર્થવાળા ધાતુના ધત્રન્ત માંથી નિષ્પન્ન થયો છે, તે પરિચ્છિન્ન પ્રકાશના યૌગિક અર્થમાં પ્રયોજાય છે. શ્રી રાધેશ્યામ ચતુર્વેદીએ આભાસને સમજાવતાં કહ્યું છે કે આભાસ પ્રતિબિંબિત આકાશ જેવો છે. સમુદ્રમાં તરંગ, આવર્ત, બુમ્બુદની જેમ ચેતનામાં આભાસ ઊઠે છે. આભાસોના ઉત્થાન-પતનથી પરમચેતનાને લાભ કે હાનિ થતી નથી. આભાસ પ્રગટ અને લીન થતા રહે છે, પણ તેની અધિષ્ઠાનરૂપી ચેતનામાં કોઈ વિકાર કે પરિવર્તન થતું નથી. મહેશ્વર જ્ઞાનસ્વરૂપ હોવાને કારણે આભાસ સત્ય છે મિથ્યા નથી. સાથે જ આ આભાસ મહેશ્વરની પૂર્ણતામાં કોઈ અંતર લાવતો નથી. ૪૬ આમ વિષયરૂપ અને વિષયીરૂપ તથા જ્ઞાનના કારણરૂપ અને જ્ઞાનરૂપ બધું આભાસ છે.

२५०६:

સ્પન્દ વિચારને સ્પષ્ટ કરતાં શ્રી ચતુર્વેદી દર્શાવે છે કે કાશ્મીર શૈવદર્શનમાં પરમશિવની ઇચ્છારૂપિણી શક્તિ જ સ્પન્દ શબ્દ વાચ્ય છે. શુદ્ધ પ્રકાશ અથવા જ્ઞાન સ્વરૂપ શિવ જયારે પોતાની પ્રકાશાત્મકતા અથવા જ્ઞાનાત્મકતાનો વિમર્શ કરે છે ત્યારે એ વિમર્શ જ સ્પન્દ કહેવાય છે. તેની ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા ત્રર્ણય શક્તિઓ એ સમયે પૃથક્ અસ્તિત્વ ન ધરાવતાં શિવરૂપમાં જ રહે છે. પરમેશ્વર તે સમયે શાંત સમુદ્રની જેમ અવસ્થિત રહે છે. ચેતનાના તે અસીમ પરિપૂર્ણ સાગરમાં તેના સ્વાતંત્ર્યવશ આનંદસ્વરૂપ એક હલચલ જન્મે છે. તે સમયની આ ગતિશીલતાને જ સ્પન્દ કહી છે. આચાર્ય ઉત્પલદેવે આ સ્પન્દને પરમશિવની સ્ફુરણા કહી છે. અનંતકોટિ વિશ્વ એ આ સ્ફુરણાનો જ સમુલ્લાસ છે. ૪૭

કાશ્મીર શૈવદર્શન અનુસાર પરમેશ્વર કે પરમશિવના ખ્યાલને આ રીતે સમજાવ્યો છે. આ દર્શનમાં પરમેશ્વર જ એકમાત્ર સત્ય છે. તે શુદ્ધ પ્રકાશસ્વરૂપ છે. આ પ્રકાશ સૂર્ય કે મણિના પ્રકાશ જેવો જડ નહીં. પરંતુ ચૈતન્ય સ્વરૂપ છે. પરમેશ્વરના વિશ્વોત્તીર્ણ અને વિશ્વમય એવાં બે સ્વરૂપો છે. પરમેશ્વર પોતાનાં એ બંને સ્વરૂપોમાં શાશ્વત અને સતત વિરાજમાન છે. પ્રથમ સ્થિતિમાં તે કેવલ પ્રકાશમય છે. તે સમયે પણ વિશ્વ તેમાં અવસ્થિત રહે છે. પણ વિશ્વને તેનો આભાસ થતો નથી. આમ આ અવસ્થા કેવળ અસીમ શુદ્ધ 'અહમ્” સ્વરૂપ છે. પૂર્ણતત્ત્વની આ ગંભીરતમ સ્થિતિમાં સત્-ચિત્-આનંદની કલ્પના પણ અસંભવ છે. પરમેશ્વરનું વિશ્વમય સ્વરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ છે. પરમશિવ જયારે પોતાની સત્તાનો સ્વયં વિમર્શ કરે છે, ત્યારે પૂર્વવર્ણિત ગંભીરતમ સન્માત્રની સ્થિતિમાં જ આત્મપ્રકાશરૂપે તેની એક કલા અથવા સૂક્ષ્મતમ શક્તિ આવિર્ભૂત થાય છે, જેને ચિત્ત કહેવાય છે. પરમેશ્વર જયારે પોતાની વિમર્શ શક્તિદ્વારા આ ત્રણેય રૂપોમાં બહિર્મુખ થાય છે, ત્યારે તે તેનું વિશ્વમયરૂપ કહેવાય છે. આ પરમ શુદ્ધ પ્રકાશસ્વરૂપ અને પરમશુદ્ધ વિમર્શરૂપ છે. આમ પ્રકાશની પ્રકાશતા એ જ વિમર્શ છે અને વિમર્શની વિમર્શતા એ જ પ્રકાશ છે. ૪૮

આ દર્શનને અંતર્ગત શિવ, શક્તિ, સદાશિવ, ઈશ્વર, શુદ્ધવિદ્યા, માયા, કલા, વિદ્યા, રાગ, કાલ, નિયતિ, પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, મન, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ મહાભૂતો એમ છત્રીસ તત્ત્વોની મીમાંસા થઈ છે. એ છત્રીસ તત્ત્વોનું ત્રણ ભાગમાં વર્ગીકરણ થયું છે. (૧) આત્મતત્ત્વમાં પૃથ્વીથી માયા સુધીનાં તત્ત્વોનો સમાવેશ થાય. (૨) વિદ્યાતત્ત્વમાં શુદ્ધવિદ્યાથી સદાશિવ સુધીનાં તત્ત્વોનો સમાવેશ થાય અને (૩) શિવતત્ત્વમાં શક્તિ અને શિવનો સમાવેશ થાય છે.

શ્રી જે.પી. અમીને શૈવદર્શનના વિચારને સંક્ષેપમાં રજૂ કરતાં દર્શાવ્યું છે કે આ અદ્વૈત શૈવમતમાં પરમતત્ત્વ શિવ છે, તે ચૈતન્ય સ્વરૂપ છે. તે જ સત્ય છે. એ ચૈતન્ય જ સર્વરૂપ બને છે. એ પરમશિવ જ જે તે પદાર્થ સ્વરૂપે સ્ફુરે છે, તેનાથી જુદું ગ્રાહ્ય - ગ્રાહકરૂપ કાંઈ નથી. આ પરમચૈતન્ય ચિત્તિ, સંવિત, પરમેશ્વર, શિવ કે પરમશિવ કહેવાય છે. તે ભિન્ન ભિન્ન પદાર્થોમાં એક અને અભિન્ન છે, તે દેશકાળથી અપરિચ્છિન્ન, અનંત અને સર્વવ્યાપક છે. છતાં સર્વથી પર પણ છે. પરમશિવની જગતરૂપે સ્ફુરવાની શક્તિને “શક્તિ” કહેવાય છે, તે પરમશિવથી અલગ નથી. શક્તિની મદદથી જ પરમશિવ પોતાની ઈચ્છા દ્વારા સ્ફુરે છે. ૪૯

શ્રી હરિશંકર જોષી પ્રત્યભિજ્ઞામતને એકાંગી અને સરળ ગણાવે છે. પ્રત્યભિજ્ઞામતના દાર્શનિક વિચારને રજૂ કરતાં તેમણે દર્શાવ્યું છે કે પ્રત્યભિજ્ઞાવાદીઓ સૃષ્ટિના નિર્માણમાં ઈશ્વરની ઇચ્છાને કારણ માને છે અને કહે છે કે પ્રત્યભિજ્ઞાનાં દ્વાર ખુલી જતાં ''હું શિવ જ છું' એવું ભાન થઈ જાય છે. ભગવાન શિવ અથવા મહેશ્વર અનવચ્છિન્ન પ્રકાશ, આનંદમય અને સ્વતંત્ર છે. તેમનો દાસ્યભાવ પ્રાપ્ત કરવો તે પુરુષાર્થ છે. ત્યારપછી કંઈપણ કરવાનું બાકી રહેતું નથી. દાસ્યભાવ જેને પ્રાપ્ત થયો છે, તેને પરમેશ્વરની સમીપતા પ્રાપ્ત થઈ જાય છે. મનુષ્યમાં જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે. ક્રિયા કાર્યરૂપ શરીરમાં ઘટિત થઈને તેને પ્રસ્ફુટિત કરે છે. આત્માએ ચૈતન્ય છે અને પ્રકાશરૂપતા તે જ્ઞાન છે. અહીં જગન્નિર્માતૃત્વ તે જ ક્રિયા છે. આ નિર્માણ નિરુપાદાન-ઇચ્છામાત્રથી થાય છે. મહેશ્વરની ઇચ્છા જ પ્રકૃતિની જેમ કાર્ય કરે છે. આ મત જગતને યથાર્થ માને છે. અહીં શિવ અને શિવેચ્છા ક્રમશઃ પુરુષ અને પ્રકૃતિનાં પ્રતિનિધિ છે તેવું શ્રી જોષી દર્શાવે છે તથા જણાવે છે કે પ્રત્યભિજ્ઞા એ ઉન્મીલિત જ્ઞાન છે. અહીં શિવને કલાનાથ કહ્યો છે.૫૦

આમ આ મત અનુસાર પરમતત્ત્વ પરમશિવ જ સ્વશક્તિ દ્વારા સ્વેચ્છાએ જગતરૂપે રસ્ફુરે છે. જગતના બાહ્યપદાર્થો અને પરમશિવ વચ્ચે ભેદ છે. મોક્ષસ્થિતિમાં પણ જગતના ઉદ્ભાવક પરમશિવનો જ અનુભવ થાય છે. બાહ્યજગતમાં વ્યાપીને રહેલું હોવા છતાં પરમશિવતત્ત્વ અપરિચ્છિન્ન છે. આ જગત પણ મિથ્યારૂપ ન હોતાં પારમાર્થિક અને અનુભવસિદ્ધ છે. પરંતુ પરિચ્છિન્ન છે. અહીં મહેશ્વર પોતે જ પોતાનામાંથી પોતાની ઈચ્છાથી પોતાનામાં રહેલ પદાર્થોનો ભેદ વડે આભાસ કરાવે છે.

કાશ્મીરશૈવાદ્વૈતદર્શન અને વેદાંતના અદ્વૈતદર્શનમાં પરમઅદ્વૈતતત્ત્વનો વિચાર છે. તેમ છતા બંનેનાં અભિગમોમાં વૈષમ્ય છે. શ્રી એલ.એન. શર્માએ આ બંનેમાં પાર્થક્ય દર્શાવતાં કહ્યું છે કે કાશ્મીર શૈવદર્શનનો અભિગમ પૂર્ણત્વ પ્રતિ હતો, જ્યારે અદ્વૈતવેદાંતનો કૈવલ્ય પ્રતિ હતો. બંને અભિગમો ક્રમશઃ આગમો અને વેદોમાંથી નિષ્પન્ન થયા. આગમોનો મૂળભૂત ખ્યાલ સ્વાતંત્ર્ય અને પૂર્ણત્વનો છે. વેદાંતમાં પણ સ્વાતંત્ર્ય અને પૂર્ણત્વ બંને બ્રહ્મને લાગુ પડતાં હોવા છતાં વત્તેઓછે અંશે વેદાંતનું નકારાત્મક વલણ જોઈ શકાય છે. વેદાંતમાં પૂર્ણતાનો ખ્યાલ છે તે સત્તાની વિશુદ્ધિના અર્થમાં છે. તેમણે આ બે દર્શનોનું અંતર મૂળભૂત સિદ્ધાંતોને આધારે સમજાવતાં નીચે મુજબ તફાવત આપ્યો છે.

(૧) વેદાંતનો ખ્યાલ સત્ય-અસત્યના ભેદ ઉપર આધારિત છે. આ મતમાં સત્યને અબાધ્ય અને અસત્ય (મિથ્યા) ને બાધ્ય ગણ્યું છે. એને કારણે જ વેદાંત બૌદ્ધ જેવા અનાત્મવાદીઓ અને શૈવમતોથી જુદું પડે છે. જ્યારે શૈવદર્શન સ્વાતંત્ર્યમાં માનતું હોવાથી સમગ્ર જગતને આત્મત્વથી જુએ છે. બાહ્ય અને આંતર પદાર્થો એક જ પ્રક્રિયાનાં જુદાં જુદાં અંગો છે તેવું માને છે. શિવ અને શક્તિના સામરસ્યથી સમગ્ર જગત ઉદ્દત થયું છે. અભિનવગુપ્તે કહ્યું છે તેમ શૈવદર્શનમાં કશું જ મિથ્યા નથી. જ્યારે વેદાંતમાં જગતનું મિથ્યાત્વ ન સમજાય ત્યાં સુધી બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી.

(૨) વેદાંતમાં જ્ઞાન અને અજ્ઞાન બંને અંધકાર અને પ્રકાશની જેમ એકબીજાથી વિરુદ્ધ છે. શૈવાદ્વૈતમાં જ્ઞાન અને અજ્ઞાનને અલગ તરીકે સ્વીકાર્યા જ નથી. ત્યાં સ્વપ્રકાશિત અજ્ઞાન તે જ જ્ઞાન છે અને સ્વાવૃત્ત જ્ઞાન તે જ અજ્ઞાન છે. ૫૧ શ્રી અરવિંદે કહ્યું છે તેમ અજ્ઞાન એ પરમતત્ત્વ અને સમસ્ત જગતની વચ્ચે રહેલું છે. અજ્ઞાન અને સમસ્ત પ્રકૃતિ બંને પ્રતિબદ્ધ પણ છે અને અલગ પણ છે. તે બંને સાથે મળીને સર્જન કરે છે . ...

અદ્વૈત શૈવ

૧. પરમશિવ પ્રકાશ-માન છે.
૨. તે સ્વાત્મવિશ્રાંતિરૂપ છે.
૩. માયા પરમશિવથી અભિન્ન છે. પરમશિવ સાથે તાદાત્મ્યયુક્ત પરમાર્થ શક્તિ છે.


અદ્વૈત વેદાંત

૧. પરમતત્ત્વ કેવલ અસ્તિત્વ માત્ર છે.
૨. સુખ અને દુઃખના અભાવરૂપ છે.
૩. માયા સદસદનિર્વચનીયા છે. બ્રહ્મ સાથે તેનું તાદાત્મ્ય નથી.

........
શ્રીયુત્ર નર્મદા જી ...

No comments:

Post a Comment